દેશમાં કોરોના વાયરસની આફત આવી છે ત્યારે ઘણા લોકો છે જે ધંધો ભુલિને માનવ સેવામાં લાગ્યા છે. ઘણા લોકોએ પોતાની શક્તિ પ્રમાણે આર્થિક મદદ પણ કરતા જ્ણાય છે. આજે આપણે વાત કરવાના છીએ સુરતના વરાછા વિસ્તારમાં યોગી ચોક પાસે રહેતા મુકેશભાઇ જોશી મેડિકલના વ્યવસાય સાથે સંકળાયેલા મધ્યમ પરિવારના માણસ છે. વડાપ્રધાનશ્રીએ લોકડાઉન જાહેર કર્યું ત્યારે જ મુકેશભાઇ અને તેમના ધર્મપત્ની ભાવનાબેને એક સંકલ્પ કર્યો કે દેશ પર આફત આવી પડી છે ત્યારે આપણાથી જે સેવા થઈ શકે તે સેવા આપણે કરવી છે અને રાષ્ટ્રઋણ અદા કરવું છે.
લોકડાઉનના લીધે ઔદ્યોગિક વિસ્તારમાં છૂટક મજૂરી કરતા મજૂરોની હાલત સૌથી કફોડી હશે એવું માનતા મુકેશભાઈએ આ ગરીબ મજૂરોને જમાડવાનું નક્કી કર્યું. બસ આ જ વિચાર ને લઈને મુકેશભાઈ જોશીએ અને તેના પત્નીએ ૨૫ માર્ચ થી જ તેના ઘરે આવા ગરીબ અને મજુર લોકો માટે રસોઈ બનાવીને તેને જમાડવાનું કામ ચાલુ કરી દીધું. જો કે સરકાર આ કામ કરી જ રહી છે પરંતુ મુકેશભાઈ જોશી વિચારે છે કે સરકાર કેટલેક પહોંચે. તેથી તે તેના અંગત બચાવ કરેલ પૈસા થી આ કામ કરી રહ્યા છે.
મુકેશભાઈ જોશીએ માનવતાનું ઉદાહરણ ખરા ટાઈમે આપ્યું કહેવાય કેમ કે મુકેશભાઈ જોશી પણ મધ્યમ પરિવારના જ છે. અને તેના મકાનને જોઇને જ તમને પણ ખ્યાલ આવી જશે કે મુકેશભાઈ જોશી પાસે કરોડો રૂપિયા નથી. મુકેશભાઈ જોશીનો અને તેનો પૂરો પરિવાર રોજ આશરે ૭૦૦ માણસોની રસોઈ બનાવે અને તેનો સંપૂર્ણ ખર્ચ મુકેશભાઈ જોશી કરે છે. તેની પાસેથી સ્વયં સેવકો આવીને ગરીબો ને અને મજુર વર્ગના લોકોને જમાડવા માટે લઇ જાય છે. મુકેશભાઈ જોશીનું માનવું છે કે સેવા કરવાનો આ ખરો મોકો મળ્યો છે.
લોકડાઉનનો આજે 15મો દિવસ છે. 15 દિવસથી મધ્યમ પરિવારનો આ દરિયાદીલ માણસ રોજના 700 માણસોનું સાંજનું ભોજન બનાવીને ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ ઠારવાનું પુણ્યકાર્ય કરે છે.
મુકેશભાઇ જેવા કેટલાય માણસો અને સંસ્થાઓ ભારતીય સંસ્કૃતિનો સાચો પરિચય છે.
Post a Comment